19/11/2020
દિવાળીના તહેવારોના અંતિમ તબક્કા તરફ આવી પહોંચ્યા છે, ત્યારે આજે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ છે અને તેની સાથે જ દિવાળીના તહેવારોની સમાપ્તિ થશે. નવું વર્ષ વધારે શુભ અને લાભદાયી પુરવાર થાય તેવી પ્રાર્થના સાથે વેપારીઓ મુહૂર્ત કરશે. આમ, લાભ પાંચમ સાથે માર્કેટ તેમજ દૂકાનો પૂર્વવત્ ધમધમવા લાગે છે.
કારતક માસના શુક્લ પક્ષની પંચમી તિથિને લાભ પાંચમ કહેવામાં આવે છે. દિવાળી પછી આવતી પંચમીએ જો કોઇ નવો વેપાર કે મુહૂર્ત કરવામાં આવે તો તેમાં લાભ જ થતો હોવાની વિશિષ્ટ પરંપરા-માન્યતા છે. વેપારીઓ લાભ પાંચમના દિવસે હિસાબના ચોપડાની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે, જેથી તેમના માટે નવું વર્ષ લાભદાયી નીવડે.
લાભપાંચમ ગુજરાતમાં સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી, લાખેણી પંચમી અને લાભપંચમી તરીકે ઓળખાય છે. કેટલાક પ્રદેશોમાં સૌભાગ્ય લાભપંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌભાગ્ય એટલે સારા નસીબ અને લાભ એટલે નફો, તેથી આ દિવસ લાભ અને સારા નસીબ સાથે સંકળાયેલ છે.
લાભ પાંચમથી દેવોની દિવાળી દેવ દિવાળીના સત્રની પણ શરૂઆત થાય છે. લાભ પાંચમના એકાંક્ષી શ્રીફળનું ખાસ મહત્વ છે. દિવાળીના દિવસે જે વેપારીઓનું ચોપડા પૂજન રહી ગયું હોય તેઓ આ દિવસે ચોપડા પૂજન કરીને પ્રારંભ કરે છે. આ પવિત્ર દિવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર ‘શુભ’ અને ‘લાભ’ લખીને સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે છે. વેપારીઓ નવા વર્ષના હિસાબના ચોપડામાં ‘શ્રી સવા’ લખીને સવાઇ લક્ષ્મી મેળવવાનો સંકલ્પ કરે છે. લાભ પાંચમની તિથિ લક્ષ્મીની પ્રાપ્તિ સાથે જોડાયેલી છે. જેના કારણે તેને ‘શ્રી પંચમી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમે શ્રીસુક્તનો પાઠ કરવાનો મહિમા છે.
આ વૈદિક સૂક્તમાં લક્ષ્મીને મનોકામના પૂર્ણ કરનારી કહેવામાં આવી છે. દિવાળી બાદ મિની વેકેશન પૂર્ણ થાય અને બજારો ધમધમી ઉઠે તેવો મહત્વનો દિવસ એટલે લાભ પાંચમ. અનેક વેપારીઓ આ દિવસે ચોપડા પૂજન ઉપરાંત કાંટા પૂજન કરતા હોય છે.
હિન્દુ અને જૈન આ બંને ધર્મની પરંપરાઓમાં લાભ પંચમીની અધિષ્ઠાત્રી દેવી શારદા (લક્ષ્મી અને સરસ્વતી) મનાય છે. વૈદિક ધર્મની લાભ પાંચમ જૈન ધર્મમાં ‘જ્ઞાન પંચમી‘ બની રહી છે. જ્ઞાન પંચમીની દેવી સરસ્વતી છે. જ્ઞાનની ઉપાસના, જ્ઞાનના સંવર્ધન અને જ્ઞાનના દાન માટે જ્ઞાન પંચમીનો તહેવાર છે. આ દિવસે જૈન ધર્મના ગણધરોએ સંકલિત કહેલા આગમ ગ્રંથોનું વાંચન-શ્રવણ-લેખન થાય છે.